વિશ્રામ ૫૨
પૂર્વછાયો
એક સમે વાલે વસંતનો, ખરી ખાંતે કર્યો ખૂબ ખેલ;
અમર મળિ આકાશમાં, તેહ નિરખવા આવેલ. ૧
ચોપાઈ
પાંડે ગોપાળજી તણા મામા, દીસે સદ્ગુણિ સુફળ સુનામા;
તેનિ સાથે રમ્યા હરિ રંગે, રસબસ થયા એ થકિ અંગે. ૨
જેમ ભરતને શ્રીભગવાને, પાદુકાઓ દીધી પૂજવાને;
તેમ સુફળને શ્રીમહારાજે, આપી પાદુકા પૂજવા કાજે. ૩
સભા સાંજે સજી સુખકારી, જથાયોગ્ય બેઠાં નરનારી;
રઘુવીરજીના લઘુ ભાઈ, બદરીનાથ વય લઘુતાઈ. ૪
રુનિ ગાદલિ મસ્તકે લૈને, નિસર્યા સભા આગળ થૈને;
તેને પૂછિયું નટવર નાથે, ગાદલી કેમ લીધિ છે માથે? ૫
તેણે ઉત્તર આપિયો ત્યાંય, ગાદલી જમના1 લઈ જાય;
માવો બોલિયા મર્મવચન, તારી ગાદલી લે નહિ અન્ય. ૬
તેમાં તાત્પર્યતા એવી હતી, તારો પુત્ર2 થશે ગાદિપતી;
કહે સુફળ સુણો મુનિનાથ, હેતે વિનતી કરું જોડી હાથ. ૭
બદરીનાથને દ્યો જનોઈ, ઘણું સારું મુહૂરત જોઈ;
સીતારામ વૃંદાવન જેહ, ત્રીજા તો બદરીનાથ તેહ. ૮
સરવારમાં જૈ પરણાવું, ત્રણે કન્યાઓ તેડિને લાવું;
મેનાયે અને વિરજાયે જેમ, કર્યાં દર્શન તે કરે તેમ. ૯
ઇચ્છારામ બોલ્યા વાણિ એવી, મારિ ઇચ્છા છે તે પણ તેવી;
ત્રણ પુત્રની પત્નિયો આવે, કરે દર્શન આપનાં ભાવે. ૧૦
લાગિ શ્રીજિને તે વાત સારી, ઉપવીતની કીધિ તૈયારી;
વાલે ઉત્તમ મુહૂરત જોઈ, બદ્રીનાથને દીધી જનોઈ. ૧૧
પ્રભુજીએ સુફળજીને જ્યારે, ચાખડીયો આપી હતી ત્યારે;
આશા ગોપાળજી ઉર ધારી, મને ચાખડી આપે મુરારી. ૧૨
ઘણા દિવસ ઇચ્છા એમ કીધી, તોય ચાખડી નાથે ન દીધી;
એક દિન જમવા બેઠા હરી, ત્યારે જુક્તિ ગોપાળજી કરી. ૧૩
છાંની રીતે ચાખડીયો ઉપાડી, એક કોઠિમાં તે તો સંતાડી;
જમી ઊઠ્યા જ્યારે વનમાળી, ત્યારે ચાખડિયો નવ ભાળી. ૧૪
વાત જાણે છે અંતરજામી, તોય સૌને પુછે બહુનામી;
મારી ચાખડિયો લિધિ કેણે, સાચું બોલો લિધી હોય જેણે. ૧૫
બોલ્યા ગોપાળજી જોડિ હાથ, તે મેં લીધી છે ચાખડી નાથ;
જેમ સુફળ કરે છે પૂજન, તેમ પૂજવાનું મારે મન. ૧૬
ઘણી આશા મેં રાખિ તથાપી, આપે ચાખડીયો નવ આપી;
ત્યારે આ ઠામથી મેં ઉપાડી, અને આ કોઠિ માંહિ સંતાડી. ૧૭
પછિ ચાખડીયો લાવી ધરી, કૃપાનાથે અંગિકાર કરી;
પાવ ધારિને પરમ પ્રતાપી, પછિ ગોપાળજીને તે આપી. ૧૮
કહ્યું પૂજા આની નિત્ય કરજો, મહિમા તેનો મન માંહિ ધરજો;
કહે વર્ણિ સુણો મહિપાળ, દીનબંધુ છે એવા દયાળ. ૧૯
હરિનૌમી ઉપર પછિ હરી, જવા વરતાલ તૈયારી કરી;
ધર્મવંશી પ્રત્યે બોલ્યા નાથ, તમે સર્વ ચાલો મુજ સાથ. ૨૦
સરવાર જવું હશે જેને, રજા આપશું ત્યાં થકિ તેને;
સૌને સાથે લિધા કહિ એમ, દાદા ખાચરને પણ તેમ. ૨૧
જયા લલિતાદિને કહે વાલો, તમે પણ સૌ વરતાલે ચાલો;
વળિ અમર અમુલાને એમ, કહ્યું શ્રીહરિયે ઘટે તેમ. ૨૨
પછિ તે સહુને સાથે લઇ, ચાલ્યા વરતાલ તતપર થઈ;
સાથે સંતમંડળ તથા પાળા, લીધા તરવાર બંદુકવાળા. ૨૩
રાધાવાવ્ય પાસે પ્રભુ આવ્યા, સચ્ચિદાનંદે હાર ધરાવ્યા;
ઉગામેડિયે જૈ ગિરધારી, પીધું વાવ્યનું નિર્મળ વારી. ૨૪
ગયા ત્યાં થકી ગામ નિંગાળે, નદિને સામે કાંઠે રુપાળે;
જઈ ઉતર્યા થોડિક વાર, બન્યો એક બનાવ તે ઠાર. ૨૫
રઘુવીરજીનો એક જન, રુડું નામ જેનું અરજુન;
એના અંતરની વાત જાણી, લાગ્યા પૂછવા સારંગપાણી. ૨૬
તજિ સંસાર આવ્યા છો આંઈ, તોય સાંભરે છે વળિ કાંઈ;
સાચેસાચું કહો હોય જેમ, સુણિ બોલ્યો તે અર્જુન એમ. ૨૭
સ્વામી સર્વજ્ઞ છો સાક્ષાત, તમથી છાનિ શી રહે વાત;
તોય પૂછ્યું તેથી કહું છુંય, મારે ઘેર હતો જ્યારે હૂંય. ૨૮
ત્યારે ગાયો ચરાવાને જાતો, તહાં દૂધ પીને તૃપ્ત થાતો;
તે તો સાંભરે છે મનમાંઈ, બીજું સાંભરતું નથી કાંઈ. ૨૯
પછિ તે જેમ વીસરી જાય, કર્યો મહાપ્રભુએ ઉપાય;
ગવરાવ્યાં પદો પંથ આખે, સાચા હરિજન હીમત રાખે. ૩૦
તેથિ સૌ સમઝ્યા મનમાંય, જ્યારે સંસારી સંકલ્પ થાય;
ત્યારે જો આવાં કીર્તન ગાય, તેના સંકલ્પ સૌ ટળી જાય. ૩૧
ઝીંઝાવદર શ્યામ સિધાવ્યા, તહાં કેરિયાના ભક્ત આવ્યા;
ભારા શેલડીના ભેટ કીધા, શ્યામે સૌ જનને વહેંચી દીધા. ૩૨
ધર્મવંશીની નારિ સમાજે, કર્યો થાળ મહાપ્રભુ કાજે;
જમિ પરવર્યા સારંગપાણી, રાતવાસો રહ્યા કારિયાણી. ૩૩
વસ્તા ખાચરનો દરબાર, ઉતર્યા જઇ ધર્મકુમાર;
બીજે દિન સંતને ઘનશ્યામે, લાડુ ખૂબ જમાડ્યા તે ઠામે. ૩૪
ત્યાંથિ પરવર્યા પ્રાસ કાળે, ગયા શ્રીહરિ સમઢિયાળે;
આવ્યા કુંડળના સતસંગી, બરવાળાના આવ્યા ઉમંગી. ૩૫
કહ્યું એક કરીને પ્રણામ, ચાલો હે હરિ કુંડળગામ;
ચાલો બીજા કહે બરવાળે, કર્યો આગ્રહ એમ એ કાળે. ૩૬
ત્યારે બોલ્યા ધરમકુળમણી, ઘોડિ ચાલશે જે ગામ ભણી;
અમે આવશું એ ગામ ભાઈ, એમ બોલિયા જનસુખદાઈ. ૩૭
ઘનશ્યામે ચલાવી જ્યાં ઘોડી, બરવાળા દિશે તે તો દોડી;
વીરો ભૂતો ને દ્વારકો ભૂતો, જોઇ રાજિ થયા તે સહૂ તો. ૩૮
બરવાળે ગયા બળવાન, દિધાં ત્યાં સૌને દર્શનદાન;
સેવા સૌની અંગીકાર કરી, ગામ નાવડે સંચર્યા હરી. ૩૯
કર્યો લીંબડીયોમાં ઉતારો, થાળ ત્યાં જમ્યા ધર્મદુલારો;
લાડુ સંતને પીરસ્યા પ્રીતે, જમ્યા પાર્ષદ પણ રુડિ રીતે. ૪૦
પછિ ચાલ્યા પ્રભૂ પ્રખ્યાત, રહ્યા સામરસદ જઈ રાત;
ગયા ધોલેરે ધર્મદુલારો, કર્યો મંદિર માંહિ ઉતારો. ૪૧
કહે ખેડુઓને મહારાજ, ચુનો કરવાને મંદિર કાજ;
બરવાળેથિ કાંકરી લાવે, તે તો ભક્ત ભલા મને ભાવે. ૪૨
આપું ચરણ છાતી માંહિ તેને, બોલો હોય જવા રુચિ જેને;
પછિ જે જે જને પાડિ હાય, તેને ચરણ દીધાં છાતિમાંય. ૪૩
એમ સૌને કરીને પ્રસન્ન, ગયા આંબળી ગામ જીવન;
પછિ પીપળિયે રહ્યા રાત, ત્યાંથી પરવર્યા ઊઠિ પ્રભાત. ૪૪
ભોગાવો ઉતરી ભગવાન, ગયા વારણે કરુણાનિધાન;
ગયા ત્યાંના તળાવની પાળે, દીઠી મેડિ ત્યાં દીનદયાળે. ૪૫
ધણિ તેનો અતીત તે સારો, કર્યો શ્રીહરિયે ત્યાં ઉતારો;
ધર્મવંશીએ ત્યાં કર્યો થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ. ૪૬
બીજે દિન વિચર્યા બળવાન, જઇ સાભ્રમતી કર્યું સ્નાન;
ગયા વરસડે વૃષનો દુલારો, કર્યા સરોવર પાળે ઉતારો. ૪૭
બીજે દિન ચાલ્યા થૈને તૈયાર, ઇંદણજ ગયા વિશ્વઆધાર;
સંજિવાડે આવ્યા ત્યાંથિ શ્યામ, ત્યાંથિ વરતાલ પૂરણકામ. ૪૮
રમાનાથનાં દર્શન કરી, હરિમંડપે ઊતર્યા હરી;
વીત્યા વાસર જ્યાં ત્રણ ચાર, ધર્મવંશિયે કીધો વિચાર. ૪૯
કોણ કોણ જશે સરવાર, રહે કોણ આ દેશ મોઝાર;
ઇચ્છારામને કહે અવિનાશ, તમે તો રહો અમારિ પાસ. ૫૦
વળિ આચાર્ય બે કહેવાય, તેમાંથી કોઇએ ન જવાય;
બોલ્યા સુફળ સુણો વનમાળી, આવે ગોપાળજી વરિયાળી. ૫૧
કામ સરશે તેઓ બેય વડે, ત્રીજા કોઇનું કામ ન પડે;
વૃંદાવન બદરી સીતારામ, તેને પરણાવવાનું છે કામ. ૫૨
વળિ હું મનમાં એમ ધારું, સાથે એના આવે તોય સારું;
સુણિ બોલિયાં તે મેના બાઈ, હમણાં નહિ આવું હું ભાઈ. ૫૩
પ્રભુદર્શનનો લાભ જેહ, નથિ પૂરો લીધો મેં તો તેહ;
તમે આવશો થોડેક માસે, માટે હું તો રહું પ્રભુ પાસે. ૫૪
વળિ એક કહું સુણો વાત, જે છે અવધપ્રસાદના ભ્રાત;
જેનું નામ છે ઠાકોરરામ, શિવકુંવર્ય તેની સ્ત્રીનું નામ. ૫૫
તેને સંતાન નવ થયું જ્યારે, મારી બેહેનને પરણ્યા છે ત્યારે;
તેનું નામ છે કૈલાસિ બાઈ, તેડિ આવજો તેહને ભાઈ. ૫૬
મહારાજનું દર્શન કરે, તેથિ અંતર તેહનું ઠરે;
કહે સુફળ ધરો વિશ્વાસ, તેડિ લાવું તેને તમ પાસ. ૫૭
પછિ બોલ્યા વચન વનમાળી, જાય સુફળ તથા વરિયાળી;
સાથે ગોપાળજીયે સિધાવે, ત્રણ ભાઇને પરણાવિ આવે. ૫૮
તેહ છ જણને કરતાં વિદાય, વળિ બોલિયા વૃષકુળરાય;
તમે સરવાર દેશ સિધાવો, કામ સિદ્ધ કરી સદ્ય આવો. ૫૯
સાથે લાવજો સૌ પરિવાર, કરે દર્શન આવી આ ઠાર;
વિચર્યા પછિ સરવારવાસી, વરતાલ વસ્યા અવિનાશી. ૬૦
જન આવે ચરોતર કેરા, કરી દર્શન હરખે ઘણેરા;
વરતાલમાં વિશ્વ આધારે, કરિ લીલા અનંત પ્રકારે. ૬૧
પુષ્પિતાગ્રાવૃત્ત
હરિવર વરતાલમાં વસીને, નિજજનના મનમાં બહુ ઠસીને;
અદભુત સુખ સર્વનેય આપ્યાં, અજ હર આદિ થકી ન જાય માપ્યાં. ૬૨
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
બદરીનાથયજ્ઞોપવીત-ધારણનામ દ્વિપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૨॥