વિશ્રામ ૧૧
પૂર્વછાયો
સ્વારી સહિત સીધાવિયા, ઘોડાસર થકી ઘનશ્યામ;
ત્યાં રસ્તામાં આવિયું, ગુણવંતું કુણાગામ. ૧
ચોપાઈ
વસ્તો ભક્ત તહાં વસે વાસ, તે તો તરત આવ્યા પ્રભુ પાસ;
પરણામ કરી પૂરી પ્રીતે, તેણે સેવા સજી સારી રીતે. ૨
પછી દેવ પધાર્યા ડભાણ, સામા આવિયા સંત સુજાણ;
મુક્તાનંદ અને બ્રહ્માનંદ, આવ્યા લૈ નિજ શિષ્યનાં વૃંદ. ૩
પ્રભુને હાર તોરા ચડાવી, વળી મસ્તક ચરણે નમાવી;
ઉતાર્યા ગામમાં શુભ પેર, રઘુનાથ પટેલને ઘેર. ૪
મોટી ઉતરવા જોગ મેડી, તેમાં શ્રીહરિને ગયા તેડી;
જેવા જનને ઘટે વળી જેવા, આપ્યા ઉતારા સર્વને એવા. ૫
ઘણા તંબુ તાણ્યા ગામ બાર, એમાં ઉતર્યાં બહુ નરનાર;
સારી સૌની કરી બરદાશ,1 આપ્યાં અન્ન ઉદક2 અને ઘાસ. ૬
પછી સાંઝે સભા સજી સારી, મોટા મેદાનમાં સુખકારી;
બ્રહ્માનંદને શ્રી મહારાજે, પુછ્યું સામાનનું યજ્ઞ કાજે. ૭
કહો કેટલો ક્યાં થકી લાવ્યા, પૈસા દેવા કર્યા કે ચુકાવ્યા?
સુણી બોલ્યા બ્રહ્માનંદ સ્વામી, આપ જાણો છો અંતરજામી. ૮
અણિયાળીવાળા પુજો શેઠ, શ્રમ તેણે કર્યો સારી પેઠ;
લેવા ઘી ગોળ ઘૌં દાળ ભાત, શેઠ પોતે ગયાતા ખંભાત. ૯
હરિભક્તનાં ગાડાં પચાસ, પૂરેપૂરાં હતાં તેની પાસ;
ગયા જ્યારે ખંભાત મોઝાર, મળ્યો ત્યાં તો કોઈ સાહુકાર. ૧૦
તેણે પુછ્યું આ કેનાં ગાડાં છે, કહ્યું સ્વામિનારાયણનાં છે;
આવ્યા યજ્ઞનો સામાન લેવા, સુણી શબ્દ કહ્યા તેણે કેવા. ૧૧
શેઠ ચાલો અમારી વખારે, સારો આપશું માલ અત્યારે;
ગામ બાર વખાર છે મોટી, ચાલો તમને નહીં કરું ખોટી. ૧૨
કહી એમ તેડી ગયો તેહ, કહ્યું માગી લ્યો જોઇયે જેહ;
ઘૃત અન્નાદિ જે માગી લીધાં, તેણે તરત ગાડાં ભરી દીધાં. ૧૩
પુજા શેઠે કહ્યું લ્યોજી નાણાં, અમે માણસ છૈયે અજાણ્યાં;
સુણી એવું બોલ્યો સાહુકાર, તમે એ શું કરો છો ઉચ્ચાર. ૧૪
તમે સ્વામિનારાયણના છો, માટે જગત વિષે જાણિતા છો;
નાણું લૈયે કે દૈયે ન રાતે, આવજો આપવાને પ્રભાતે. ૧૫
ધોળે દાડે જ પરખીને લેશું, તેની પાવતી પણ લખી દેશું;
વાળુ ટાણું વીતી જાય છેક, માટે રોકાશું નહીં પળ એક. ૧૬
પછી બંધ કરીને વખાર, નિજ ઘેર ગયા સાહુકાર;
પુજાશેઠે તે ગાડાં જોડાવ્યાં, મોટા મેદાન માંહી છોડાવ્યાં. ૧૭
વીતી રાત રવી ઉગ્યો જ્યારે, નાણું આપવાને ગયા ત્યારે;
ત્યાં તો તે નવ દીઠી વખાર, દીઠું મેદાન તો તેહ ઠાર. ૧૮
સાહુકારનો પત્તો ન લાગ્યો, નાણું લેનાર કોઈ ન જાગ્યો;
ગાડાં જોડાવી આવ્યા ડભાણ, હસ્યા સાંભળી શ્યામ સુજાણ. ૧૯
મર્મ સમજ્યો તે સર્વ સમાજ, સાહુકાર શ્રીજીમહારાજ;
હતી કંકોતરી લખી જ્યારે, વિપ્ર કાશી સુધીનાને ત્યારે. ૨૦
તેડાવ્યા હતા મોકલી પત્ર, આવી પહોંચ્યા તેઓ પણ તત્ર;
ચાર વેદના પાઠી પવિત્ર, જાણે યજ્ઞ કરાવી વિચિત્ર. ૨૧
ગામથી દિશા પશ્ચિમ માંય, કર્યો મંડપ ને કુંડ ત્યાંય;
ગામથી પૂર્વમાં છે તળાવ, દેખી ઉત્તર તટનો દેખાવ. ૨૨
પાકશાળા કરાવી તે ઠાર, જમે પ્રતિદિન વિપ્ર અપાર;
અતિરુદ્રનો આદર કીધો, સામગાન તણો મત લીધો. ૨૩
બ્રહ્માનંદને કહે ઘનશ્યામ, ભટ આવ્યા નથી મયારામ;
અમદાવાદના વાસી ખરા, જે છે નાગર ડુંગરપરા. ૨૪
બાપુભાઈ ભલું જેનું નામ, તેને સોંપો હિસાબનું કામ;
થાય ઉપજ ને ખર્ચ જેહ, નાણું સર્વ તપાસશે તેહ. ૨૫
બ્રહ્માનંદે વચન ઉર ધર્યું, પ્રભુએ કહ્યું તેમ તે કર્યું;
જમે પંગત વિપ્રની જ્યાંય, મોટો મંચ કરાવિયો ત્યાંય. ૨૬
એહ ઉપર્ય કૃષ્ણ બિરાજી, દેતા દર્શન થૈ દિલ રાજી;
દશ અવતારનું છત્ર ધરે, વસ્ત્ર ભૂષણ ધારણ કરે. ૨૭
પોતે પ્રૌઢ પ્રતાપ જણાવે, નિજરૂપનો નિશ્ચે કરાવે;
થાય સંતની પંગતી જ્યાંય, પિરસે પ્રભુજી જઈ ત્યાંય. ૨૮
ઘણા દિવસ જમ્યા દ્વિજ સંત, તોય સીધાનો આવે ન અંત;
વરતાલના જોબન પગી, દૈવયોગે તેની મતિ ડગી. ૨૯
હરિરૂપમાં સંશય થયો, તેથી પારખું લેવાને ગયો;
ઘોડાં કાઠિયોનાં ભારે ભારે, ચોરી લેવા કર્યું ચિત્ત ત્યારે. ૩૦
રાત માંહિ થયો શશિ અસ્ત, ઉંઘ્યા જે સમે લોક સમસ્ત;
ઘોડું ચોરવાને ગયા જ્યાં જ્યાં, દીઠા શ્રીહરિ પ્રત્યક્ષ ત્યાં ત્યાં. ૩૧
ઘોડું એક ચોરાયું ન જ્યારે, થયો નિશ્ચે સ્વરૂપનો ત્યારે;
પછી પ્રગટ્યો રવિનો પ્રકાશ, પગી પોતે ગયા પ્રભુ પાસ. ૩૨
વારે વારે કરિને પ્રણામ, કહ્યું ગદ્ગદ કંઠે તે ઠામ;
મુક્તાનંદે મને સાક્ષાત, કહી સત્સંગની ઘણી વાત. ૩૩
તેથી હું આપનો દાસ થયો, કાંઈ સંશય તો રહી ગયો;
ઘોડાં ચોરી લેવાને હું જાતે, અહીં આવ્યો હતો કાલ રાતે. ૩૪
પણ જ્યાં જ્યાં જઈ ઘોડે ભાળ્યું, ત્યાં ત્યાં રૂપ તમારું નિહાળ્યું;
થયો નિશ્ચય તેથી તમારો, અપરાધ ક્ષમા કરો મારો. ૩૫
તમે ભક્તવત્સલ ભગવાન, દીનબંધુ દયાના નિધાન;
હું તો કુળહીન કુટીલ કુપાત્ર, પ્રભુ મારી મતિ કોણમાત્ર. ૩૬
આવી તીર્થમાં પાપ આદર્યું, તે તો કામ ન કરવાનું કર્યું;
દીનબંધુ દયા કરો આપ, મટે તો તે મારું મહાપાપ. ૩૭
ધર્મનંદને ધીરજ દીધી, તેના પાપ તણી ક્ષમા કીધી;
પ્રભુએ પછે નિયમ ધરાવ્યાં, ચોરી આદિ કુકર્મ તજાવ્યાં. ૩૮
હતું વિક્રમનું વર્ષ જ્યારે, અષ્ટાદશ શત છાસઠ ત્યારે;
પોષિ પૂનમનો દિન આવ્યો, તે તો પૂર્ણાહુતીનો ઠરાવ્યો. ૩૯
કર્યો હોમ વેદોક્ત તે કાળે, ઘણું ઘી હોમિયું પરનાળે;
દ્વિજને ઘણી દક્ષિણા દીધી, યજ્ઞ કેરી સમાપતિ કીધી. ૪૦
હરિભક્તોયે ત્યાં ભેટ ધરી, ઘોડાસરમાં જેણે નોતી કરી;
પૂજા શેઠે બાજુબંધ દીધા, ભાવ ભાળીને ભુધરે લીધા. ૪૧
લીલા કીધી ડભાણમાં જેહ, કૈકે ઘેર બેઠાં દીઠી તેહ;
કચ્છથી આવતાં ભગવાને, દીધાં આધોઈમાં વરદાને. ૪૨
બેય બાઇયોએ તેહ ઠામ, લીલા યજ્ઞની જોઈ તમામ;
એક અવસરે કરણીબાઈ, નિજ મેડા ઉપર ગઈ ધાઈ. ૪૩
ત્યાં તો સુંદર એક પલંગે, પ્રભુ પોઢેલા દીઠા ઉમંગે;
ત્યારે પુછ્યું કરીને પ્રણામ, ક્યાંથી આવ્યા તમે ઘનશ્યામ? ૪૪
રાયધણજી નથી કેમ સાથે? સુણી ઉત્તર આપિયો નાથ;
અમે આવ્યા ડભાણથી આજે, રાયધણજી રહ્યા ક્યાંઈ કાજે. ૪૫
કરાવ્યા પછી બાઈએ થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ;
એમ વાસર બે વસ્યા વાસ, પછી ઉચ્ચર્યા શ્રીઅવિનાશ. ૪૬
રાયધણજી હજી નવ આવ્યા, માટે જાશું કહીને સિધાવ્યા;
પછી દિવસ ઘણા ગયા જ્યારે, રાયધણજી આવ્યા ઘેર ત્યારે. ૪૭
કર્ણિબાયે કહ્યું તેહ સ્થાન, આંહિ આવિ ગયા ભગવાન;
તમે પાછળ ક્યાં રહી ગયા, સુણતાં એવું વિસ્મિત થયા. ૪૮
પછી પુછિ લિધો દિન વાર, વળી બોલિયા તે સરદાર;
તે દિને તો ડભાણમાં હતા, અમે દર્શન નિત્ય કરતા. ૪૯
પણ હરિએ બીજું રુપ ધરી, દીધું દર્શન કરુણા કરી;
વળી વર્ણિ કહે હે રાય, કહું સાંભળો બીજી કથાય. ૫૦
હરિભક્ત જે ભીખારિદાસ, જેનો સૂરત માંહિ નિવાસ;
તેની પુત્રી સત્સંગી સુજાણ, તે તો આવી શકી ન ડભાણ. ૫૧
લીલા જોવા આતુર સહી, દીઠી લીલા બધી ઘેર રહી;
વસોવાસી દાદા દવે નામ, આવ્યા હતા તે ડભાણ ગામ. ૫૨
પુત્રી જમના ને ઈશ્વર પુત્ર, હતાં તે પણ સંગાથે તત્ર;
હતો પૂર્ણાહુતી સમો જ્યારે, ચાલ્યા દર્શને સૌ જન ત્યારે. ૫૩
ભીડ માણસની થઈ ભારે, બાઈ જમના ન જૈ શકી ત્યારે;
કહ્યું તાતે રહો આ ઉતારે, આવજો ત્યાં મટે ભીડ જ્યારે. ૫૪
બાઈ જમના તે ઉતારે રહ્યાં, પણ ત્યાં તેને દર્શન થયાં;
દવે આવ્યા તે ઉતારે ફરી, જમનાયે બધી વાત કરી. ૫૫
તહાં શોભા બની હતી જેવી, કહી સર્વ જથારથ તેવી;
વળી સોરઠનો સંઘ મળી, ચાલ્યો સોરઠથી તે નીકળી. ૫૬
ભટ મુખ્ય તેમાં મયારામ, પાંચ ગાઉ મુક્યું નિજ ગામ;
ભક્ત પર્વતભાઈ તે સંગે, વિચર્યા હતા અંગ ઉમંગે. ૫૭
બીજા બહુ ભગવાનના દાસ, ચાલ્યા દર્શન કરવાની આશ;
વનમાં મળ્યા શ્રી વૃષનંદ, જન વૃંદે દીઠા જગવંદ. ૫૮
કર્યા પ્રેમથી સૌયે પ્રણામ, પુછ્યું ક્યાંથી આવ્યા ઘનશ્યામ;
કહે કૃષ્ણ ડભાણથી આવ્યા, યજ્ઞ પૂર્ણ કરીને સિધાવ્યા. ૫૯
માણાવદરમાં હવે જાશું, ઘોડું દોડાવી આગળ થાશું;
એમ ઉચ્ચરી ઘોડી દોડાવી, સંઘ પાછો વળ્યો હર્ષ લાવી. ૬૦
ગામમાં જઈ કીધો તપાસ, ક્યાંઈ દીઠા નહીં અવિનાશ;
ત્યારે જાણ્યું જે બીજે સ્વરૂપે, દીધું દર્શન વૃષકુળભૂપે. ૬૧
એવી રીતે અનેક ઠેકાણે, દીધાં દર્શન એ જ પ્રમાણે;
યજ્ઞ પૂરો કરી પરમેશ, સંઘ મોકલ્યા નિજ નિજ દેશ. ૬૨
લીલા અલ્પ કરી મેં ઉચ્ચાર, બીજા ગ્રંથોમાં છે વિસતાર;
લીલા ગાય શીખે કે સાંભળશે, તેને પ્રગટ મહાપ્રભુ મળશે. ૬૩
પુષ્પિતાગ્રાવૃત્ત
પ્રગટ પ્રભુ તણાં રુડાં ચરિત્ર, શ્રુતિ3 સુણતાં જન થાય છે પવિત્ર;
મનનિ પુનિતતાઈ4 થાય જેને, પ્રગટ પ્રભુજી મળે જરૂર તેને. ૬૪
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિડભાણ-યજ્ઞકરણનામ એકાદશો વિશ્રામઃ ॥૧૧॥