વિશ્રામ ૨૩
પૂર્વછાયો
કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ અભેસિંહભાઈ;
લીલા કહું જેતપર તણી, સુણતાં અધિક સુખદાઈ. ૧
ચોપાઇ
હરિભક્ત મળી ઘણા નર, કર્યો મંડપનો તે આદર;
સૂત્રધાર સામાન મંગાવે, હરિભક્તો ઉમંગથી લાવે. ૨
ઘણી ઝડપથી ધમધમ ચાલે, જાણે ઉન્મત્ત મેંગળ1 મહાલે;
સિંધુ પર સેતુ રચવાને જેમ, કપિવૃંદ મચ્યાં હતાં તેમ. ૩
એક એકથી આગળ ધાય, લાવી આપે છે વસ્તુઓ ત્યાંય;
એક બીજાથી અધિક તે ઠામ, કામ કરવાને રાખે છે હામ. ૪
જુવે લોકો જે રસ્તે જનાર, જોઈ અચરજ પામે અપાર;
જુવે ટોળે ટોળાં જન મળી, તે તો ઝડપ વખાણે છે વળી. ૫
બીજે ઠેકાણે જોવાને જાય, પાકશાળાનો આદર થાય;
લૈને પાવડા કોશ કોદાળી, મજુરો મંડ્યા કાછડા વાળી. ૬
જાણે સંચિત કર્મ કોઠાર, તે તો ખોદીને કાઢે છે બહાર;
કોઈ ખોદે છે ચૂલ કે ક્યારી, કોઈ કોઠિયો ડાટે છે ભારી. ૭
શીરો ભરવા અવાડા કરે છે, ઘૃત ભરવાના કુંડ ધરે છે;
કરે સીધું સામાન તૈયાર, કર્યો છે બળતણનો અંબાર.2 ૮
છાયા કરવાને થાંભલા રોપે, જાણે મોક્ષ નિસરણિયો ઓપે;3
ઉંચા બાંધે છે બુંગણ લાવી, જાણે શરદની વાદળી આવી. ૯
ચરુ4 રંગાડાં5 ને દેગ6 મોટા, લાવી મુક્યા તેના નથી તોટા;7
કથરોટ કુંડા ને કડાયો, ઝારા ડોયા તથા કડછાઓ. ૧૦
એવાં વાસણ અપરમપાર, લાવી મૂક્યાં તે જગ્યા મોઝાર;
કામ ચાલે છે ધમધોકાર, એમ વિતિયા દિન દશ બાર. ૧૧
એવામાં કાળી ચૌદશ આવી, હનુમાન પૂજ્યા હેત લાવી;
ઘણા સંત હરિજન આવ્યા, જોઈ આરંભ મનમુદ8 લાવ્યા. ૧૨
ઉપજાતિવૃત્ત
આનંદ છે જ્યાં અભિષેક કેરો, દીવાળી આવ્યાથી વધ્યો ઘણેરો;
પ્રવાહ ગંગાજી તણો સુ જેમ, મળ્યાથી કાલિંદિ વધે જ તેમ. ૧૩
દિસે ઘણા દીપક ઠામઠામ, શું દેવ આવ્યા તજી સ્વર્ગધામ;
નિહાળવા શું વૃષવંશિરાજ, ધર્યાં ધરાયે બહુ નેત્ર આજ. ૧૪
દીપોત્સવી તો બહુ આવી જાય, આવો કદી ઉત્સવ તો ન થાય;
કહે જનોને જન એક કોઈ, આવી દિવાળી કદીયે ન જોઈ. ૧૫
આવ્યા નથી ને નથી આવનાર, છે જે પ્રભુ અક્ષરબ્રહ્મ પાર;
તે9 આવિયા છે નરદેહ ધારી, તેથી દિસે આજ દિવાળી સારી. ૧૬
આનંદ છે અક્ષર માંહિ જેવો, ભૂલોકમાં આજ જણાય એવો;
જે દેહ પામ્યા જન આજ ટાણે, સુભાગ્ય તેનાં વિબુધો10 વખાણે. ૧૭
ભલો કર્યો ઉત્સવ અન્નકૂટ, પકવાન્ન ને શાક કર્યાં અખૂટ;
ઠાકોરજી આગળ તે ધરાવી, પંક્તિ પછી સંત તણી કરાવી. ૧૮
પોતે ગુરૂ પીરસવા રહે છે, મહાપ્રભુજી પણ પીરસે છે;
જે હાથમાંથી કણિકા પડે છે, પ્રસાદિ બ્રહ્માદિ સુરો ચહે છે. ૧૯
ચોપાઇ
અન્નકૂટ્ટ તણો દિન ગયો, શુદિ બીજ તણો દિન થયો;
જેતપરના જનોને તેડાવી, સ્વામીયે એવી વાત સુણાવી. ૨૦
સમૈયો હવે ઢુંકડો આવ્યો, કેટલોક સામાન કરાવ્યો;
બીજું તો બધું તૈયાર થાશે, પણ ઉતારા ક્યાં ક્યાં કરાશે. ૨૧
કૈંક આવશે રાણા ને રાય, આવશે જ ગૃહસ્થ ઘણાય;
સતસંગી તો આવશે સહુ, બીજા પણ જન આવશે બહુ. ૨૨
રાખવી સહુની બરદાશ, તેમાં કરવી ન કાંઈ કચાશ;
મૂળુ વાળા બોલ્યા પછી ત્યાંય, દેવા વાળા ને ઉન્નડરાય. ૨૩
મોટા મોટા છે મોલ અમારા, તે તો જાણજો સર્વ તમારા;
ઉતારા તો ઠરાવશું અમે, તેની ચિંતા ન રાખશો તમે. ૨૪
યથાયોગ્ય પલંગ તળાઈ,11 વળી સેવામાં દેશું સિપાઈ;
જેતપરના બીજા હરિજન, કહે છે જે અમારાં ભવન. ૨૫
હરિજનને ઉતરવાને દેશું, વળી સેવામાં તત્પર રે’શું;
એમ કહી જન સર્વ સિધાવ્યા, દેરા તંબુઓ ઊભા કરાવ્યા. ૨૬
રુડી રાવટીયો અને પાલ,12 બાંધી ચંદનિઓ ત્યાં વિશાળ;
તંબુ ઉપર કળશ સોનાના, ચળકે સરખા ચંદ્રમાના. ૨૭
માંહી જાજમો શુભ પથરાવી, મૂકી ખુરશીયો વિધવિધ લાવી;
ગાદી તકિયો પલંગ તળાઈ, ગાલમસુરિયાં ને રજાઈ. ૨૮
જે જે જોઇયે તે રાખ્યાં તૈયાર, જેમ આપતાં લાગે ન વાર;
આવ્યો અષ્ટમીનો દિન જ્યારે, થયો મંડપ તૈયાર ત્યારે. ૨૯
સ્વામીને કહે હીરજીભાઈ, જુઓ મંડપની સરસાઈ;
પછી મંડપ જોવા પધાર્યા, સાથે જન લૈને સારા સારા. ૩૦
વૈતાલીયવૃત્ત
છબી મંડપ કેરી શી કહું, ભભકાદર બની ભલી બહુ;
સજિયા શુભ હેમથાંભલા, તખતા13 શ્રેષ્ઠ ધર્યા તહાં ભલા. ૩૧
હદ બેહદ કાચહાંડિયો,14 કરવા દીપક કાજ માંડિયો;
બહુ ભાત ઉલેચ15 બાંધિયા, શુભ તેમાં જરિતાર સાંધિયા. ૩૨
બહુ ઝૂમર ત્યાં ઝૂમી રહ્યાં, સુવિમાનોની સમાન તે કહ્યાં;
છબીલા ગલિચા બિછાવિયા, ચિતરોમાં સુર ચીતરાવિયા. ૩૩
મણિ મોતિ તણાં સુતોરણો, બહુ બાંધ્યાં જનચિત્ત ચોરણો;
શુક16 સારિક17 શબ્દ ઉચ્ચરે, મુનિ કેરા મનનેય તે હરે. ૩૪
ધરિયા પંચરંગી વાવટા, અતિ છાજે શુભ તેહની છટા;
નભમાં કૃત જેમ મેહનાં, ધનુસાદૃશ્ય સુરૂપ તેહનાં.18 ૩૫
શુભ કુંડ તહાં કરાવિયો, કરવા હોમ ભલો જ ભાવિયો;
કદળી સદળી19 વળી લહી, સ્થિર ત્યાં સ્થંભ રુડા રચ્યા સહી. ૩૬
ચોપાઇ
સ્વામી નિરખીને શોભા અથાહ, વારેવારે કહ્યું વાહ વાહ;
અમે ધાર્યો હતો જેવો કરવા, તેથી સરસ થયો મન હરવા. ૩૭
ધન્ય ધન્ય નારાયણ ભ્રાત, વિશ્વકર્મા તમે સાક્ષાત;
તમે પ્રત્યક્ષ છો રચનાર, કેમ ખામી રહે ત્યાં લગાર. ૩૮
એમ રાજી થઈને અપાર, આપ્યા ઉરથી પ્રસાદીના હાર;
પછી જોવા ગયા પાકશાળા, ત્યાં તો વિપ્રો વિશેષ નિહાળ્યા. ૩૯
પીપળાણાના નરસિંહ મેતા, પાકશાળાના ઊપરી હતા;
પુત્ર કલ્યાણજી આદિ જેહ, મંડ્યા કરવા રસોઈ તેહ. ૪૦
કોઇયે કાછડા લીધા છે વાળી, કોઇયે વાળી બોકાની રુપાળી;
કોઇયે કડછા લીધા છે કરમાં, કોઈ ભીંજાયા પરશેવા ભરમાં. ૪૧
કોઇયે પાતળાં ને કોઇયે જાડાં, લાડુ ખાંડવા લીધાં છે આડાં;
હળદીવાળા કોઈના હાથ, તેનો રંગ લાગ્યો અંગ સાથ. ૪૨
જાણે ખેલીને આવ્યા વસંત, તેનો રંગ લાગ્યો છે અત્યંત;
ચુલ્યો ઉપર દેગો ચડાવી, ઘણી ઘીની અવાડી20 ભરાવી. ૪૩
લાડુ ખાંડે કરે બળ ભારે, રામાનંદની જય ઉચ્ચારે;
કોઈ પાડે ભલાં પકવાન, તેનું લાગી રહ્યું તેમાં ધ્યાન. ૪૪
રામાનંદ બોલ્યા ગુણવાન, કરી રાખો રુડાં પકવાન;
દ્વાદશી દિને જમવાનું ધરજો, દાળ ભાત તો તે દિન કરજો. ૪૫
કરો નાગરને ખપે એવી, જુદી દૂધની રસોઈ તેવી;
બોલ્યા વિપ્રો અમે તેમ કરશું, આપ આજ્ઞા સુણી અનુસરશું. ૪૬
જોઈ બ્રાહ્મણનો શ્રમ ભારી, રામાનંદ રીઝ્યા મુદ ધારી;
ભુજસમશા21 કરી ભલી વિધી, સર્વ વિપ્રોને આશીષ દીધી. ૪૭
પછી સ્વામીજી ત્યાંથી પધાર્યા, જોયા જઈને સમસ્ત ઉતારા;
બંદોબસ્ત નિહાળીને સાર, સ્વામી રીઝ્યા રુદેમાં અપાર. ૪૮
કર્યું આશ્રમે જઈને આસન, વળી વાત વિચારીને મન;
મુક્તાનંદ તથા રામદાસ, રામાનંદે તેડ્યા નિજ પાસ. ૪૯
કહ્યું સાંભળો સદગુણી સંત, હું છું તમ વડે આજ નચિંત;
મારે યજ્ઞમાં બેસવું પડશે, આજ સંઘ ઘણા આવી ચડશે. ૫૦
રાખજો સહુની બરદાસ, કશી વાતે ન રાખો કચાશ;
વળી જ્ઞાન તણો ઉપદેશ, તમે સર્વને કરજો વિશેષ. ૫૧
સંતમંડળ આવે આ કાળ, તેની લેજો તમે સંભાળ;
સુણી બોલિયા તે સંત બેય, તે તો કામ અમારું જ છેય. ૫૨
વળી સ્વામીયે વાણી ઉચારી, સુણો સ્નેહે મુકુંદ બ્રહ્મચારી;
વરણી નીલકંઠની પાસ, રહો થઈને નિરંતર દાસ. ૫૩
એની આજ્ઞા સદા અનુસરજો, જે જે સેવા બતાવે તે કરજો;
બોલ્યા તે સમે તે બ્રહ્મચારી, સદા વર્તિશ આજ્ઞાનુસારી. ૫૪
એ જ અષ્ટમીને દિન રાય, સંત મંડળ આવિયાં ત્યાંય;
નવમી દિન આવિયો જ્યારે, આવ્યા સંઘ અનેક તે વારે. ૫૫
દેશ સોરઠ કાઠિયાવાડ, ભાલ ગુજરાત ને ઝાલાવાડ;
કચ્છ દેશ આદિક અપાર, આવ્યાં હરિજન નર અને નાર. ૫૬
સંઘ ઊતર્યો બાગમાં કોઈ, કોઈ તંબુ દેરા રુડા જોઈ;
કોઈ ગામમાં હરિજન ઘેર, ઉતર્યા જોઈને રુડી પેર. ૫૭
મળ્યા લોક હજારો હજાર, ચાલવાનો ન માગ લગાર;
આવ્યા છત્રપતિ કૈંક વંકા,22 તેના વાજે છે નોબતે ડંકા. ૫૮
ઢળે ચમર ને ફરકે નિશાન,23 છડીદાર બોલે ગુણવાન;
ઘોડા હણહણે ચિઃકારે હાથી, ગામ ગાજી રહ્યું ગર્જનાથી. ૫૯
આપ્યાં ઉતરવા શુભ સ્થાન, પછી આપિયાં ભોજન પાન;
બહુ કરી સહુની બરદાશ, તેમાં કાંઈ ન રાખી કચાસ. ૬૦
પુષ્પિતાગ્રાવૃત્ત
પુર પુર થકી સંઘ શ્રેષ્ઠ આવે, મુનિવર મુક્ત હરિકથા સુણાવે;
દરશન કરી કૃષ્ણનાં ગુરૂનાં, મન મુદવંત24 થયાં જનો સહુનાં. ૬૧
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિપટ્ટાભિષેકે હરિજનસંઘાગમનનામા ત્રયોવિંશતિતમો વિશ્રામઃ ॥૨૩॥